चारण शक्ति

Welcome to चारण शक्ति

श्री भैरवदान पुत्र श्री खेतदानजी गढ़वी (B.K. गढ़वी)

श्री भैरवदान पुत्र श्री खेतदानजी गढ़वी (B.K. गढ़वी)

पूरा नामश्री भैरवदान पुत्र श्री खेतदानजी गढ़वी (B.K. गढ़वी)
माता पिता का नामपिता श्री खेतदानजी प्रतापसिंह गढ़वी व मातृश्री हीराबा
जन्म व जन्म भूमिश्री बी.के. गढ़वी साहब का जन्म 16 अप्रैल 1937 राजस्थान के सिरोही जिले में हुआ।
स्वर्गवास
18 सितम्बर 2005 को 68 वर्ष की उम्र में उनका स्वर्गवास हुआ।
विविध
वह 1980 से 1989 तक सातवीं, आठवीं और ग्यारहवीं लोकसभा के सदस्य थे और 1996 से 1998 तक बनासकांठा संसदीय क्षेत्र का प्रतिनिधित्व करते थे। वह 1986 से 1989 तक केंद्रीय वित्त राज्य मंत्री भी रहे। उन्होंने 2004-2005 तक गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष के रूप में भी कार्य किया है। वह गुजरात में विधायक भी रहे और गुजरात सरकार में कैबिनेट मंत्री भी रहे।

 जीवन परिचय

चारण समाज की ओर से भारतीय राजनीति में सर्वोच्च कीर्तिमान स्थापित करने वाले गढ़वी परिवार जिनकी जड़े राजस्थान से जुड़ी है और पहचान गुजरात में बनाई, बात करेंगे श्री भैरवदान पुत्र श्री खेतदानजी गढ़वी (B.K. गढ़वी) साहब की।

नेकी – टेकी ने नम्रता, ज्ञानी – दानी गुणवान।
युगमा एक ज अवतरे, भड़वीर भैरवदान।।

श्री बी.के. गढ़वी साहब का जन्म 16 अप्रैल 1937 राजस्थान के सिरोही जिले में हुआ। राजनीतिक के सफर में वो आजादी के बाद कॉग्रेश से जुड़े। 1975 में गुजरात के बनासकांठा की दांता विधानसभा सीट से विधायकी का चुनाव लड़ा लेकिन करीब 05 हजार वोटो से वो चुनाव गढ़वी साहब हार गए थे। आपातकाल के बाद 1980 लोकसभा के चुनाव हुए तो कॉग्रेश इंद्रा की तरफ से गुजरात की बनासकांठा लोकसभा सीट से टिकट मिला ओर वो करीब सवा लाख वोटों से जनता पार्टी के प्रत्याशी को हराकर सासंद बने, ओर 1984 में दूसरी बार सांसद बने इसी कार्यकाल में 1986 से लेकर 1989 तक करीब तीन वर्ष तक वे देश के वित्त राज्य मंत्री भी रहे। वी.पी. सिंह, राजीव गांधी, एन. डी. तिवारी, ओर शंकर राव चौहान जैसे कैबिनेट मंत्रियों के साथ काम किया। हालांकि 1989 का चुनाव वो हार गए थे ओर 1996 में तीसरी बार वो बनासकांठा से सासंद बने हालांकि तब देश मे कॉग्रेश की सरकार नही बनी थी, लियाजा उन्हें विपक्ष में बैठना पड़ा था। वे गुजरात कॉग्रेश मे सर्वोच्च पदों तक पहुचे, वे गुजरात कॉग्रेश मे राज्य वित्त मंत्री रहे, वर्ष 2004 से 2005 तक गुजरात कॉग्रेश प्रदेश अध्यक्ष भी रहे। 18 सितम्बर 2005 को 68 वर्ष की उम्र में उनका स्वर्गवास हुआ।

.

પરમ આદરણીય સ્વ. બી.કે. ગઢવી સાહેબ ને શ્રદ્ધા સુમન.

સૃષ્ટિ આગમન- ૧૬/0૪/૧૯૩૭
પંચમહાભૂતમાં વિલીન- ૧૯/0૯/૨૦૦૫

સાહેબ નાં સંભારણાં

નેકી- ટેકી ને નમ્રતા, જ્ઞાની – દાની ગુણવાન;
યુગમાં એક જ અવતરે, ભડવીર ભૈરવદાન.

વિરાટ પ્રતિભાની, અસાધારણ વ્યક્તિત્વની, દીર્ઘદ્રષ્ટિની, જ્ઞાનના કુબેરની, સુ સમજણની, લક્ષણોના ભંડારની, સાચા કદરદાનની, સત્ય વાણીની, માનવતાના પહાડની, ગરીબોના મસીહા ની, સાહિત્યના પ્રેમીની, શાંતિના ચાહકની, કુશળ નેતૃત્વની, મુઠ્ઠી ઉંચેરા માનવીની, અને એક આખેઆખા મર્દની જો વાત કરવી હોય, કે આ તમામ વસ્તુ ને એક જ સ્વરૂપમાં નિહાળવું હોય તો બનાસની ધરતીના આ સપૂત, માનનીય સ્વર્ગસ્થ શ્રી બીકે ગઢવી સાહેબ ને સંભાર્યા વિના ના રહી શકાય.

હિમાલય જેવડી જેની પ્રતિભા હોય, જેમના વ્યક્તિત્વ ને મુલવવુ અઘરૂ પડી જતું હોય, હજારો દ્રષ્ટિઓનો સમનવય જેમની નજરમાં સમાયો હોય, વિશ્વના કોઈ પણ વિષય ઉપર જેમની સાથે ચર્ચા થઇ શકતી હોય, સમજણ ના સીમાડા જ્યાં અનંત સુધી વિસ્તર્યા હોય, માનવજાતે ગણાવેલો તમામ લક્ષણો જ્યાં અનુભવાતાં હોય, રંકથી માંડી રાજવી સુધીની કદર કરવાની જ્યાં કુશળતા હોય, જેમની સ્પષ્ટ અને સત્ય વાણીનો મોટા મોટા ચમરબંધીઓનેય ખૌફ રહેતો હોય, માણસાઈ નો પારો શિખર છોડતો ના હોય, ગરીબ અને જરૂરિયાતમંદ માટે જે ઉજાગરા વેઠી જાણતો હોય, સાહિત્ય જ્યાં કબાટ થી માંડી જુબાન સુધી સચવાયેલુ પડ્યું હોય, જેમનામાં રાષ્ટ્રથીય ઉપર વિશ્વશાંતિની ભાવના અને વિચારો મળી આવતા હોય, પ્રજાકીય પક્ષનુ કુશળ અને સચોટ નેતૃત્વ કરી બતાવ્યું હોય અને જીવનના અંત સુધી રાજકારણમાં રહીને પણ પોતાની રાજકીય સફેદીમાં એક પણ દાગ પડવા દીધો ના હોય, તેવી વ્યક્તિ માટે ઉપર્યુક્ત શબ્દો લખવા તે મારી દ્રષ્ટિએ અતિશયોક્તિ ના ગણી શકાય. અને અગર કોઈને થોડી પણ અતિશયોક્તિ અનુભવાતી હોય તો આ દરેક મુદ્દા ઉપર હું આગળ વિસ્તૃત અને ઠોસ પુરાવા સાથેની છણાવટ કરી રહ્યો છું.

સૌપ્રથમ હું આ લેખના મથાળા વિશે થોડી ચર્ચા અને ખુલાસો કરવા માગું છું.
નાનામાં નાના ચંદ્રક થી માંડી, નોબેલ પારિતોષિક સુધીના એવોર્ડો વિધિવત રીતે અમુક ચોક્કસ સંસ્થા કે સમુદાય દ્વારા આપવામાં આવે છે. અને આના માટે એક કમિટી નીમવામાં આવે છે. આ કમિટીમાં લાંબી ચર્ચા વિચારણા બાદ એવોર્ડ બાબતે નક્કી કરવામાં આવે છે. અને એમાં કમિટીના અમુક સભ્યો દ્વારા તેનો વિરોધ પણ થાય છે.

પરંતુ કોઈ કમીટી કે સંસ્થા વગર, પ્રજાએ પોતાની રીતે, નિર્વિરોધ રીતે, કોઈ ચર્ચા વિચારણા વગર, સામૂહિક સ્વેચ્છાએ કોઈ ને સન્માન આપ્યું હોય તો તે માનનીય સ્વર્ગસ્થ શ્રી ભૈરવદાનજી ખેતદાનજી ગઢવી ને આપ્યું. અને તેમને “ગઢવી સાહેબ” તરીકે ઓળખાવ્યા. પક્ષનાજ નહીં વિરોધ પાર્ટીના માણસો પણ તેમને “ગઢવી સાહેબ” તરીકેજ ઓળખતા હતા.

સંગીતની દુનિયામાં કોઈને “સાહેબ”નુ ઉપનામ મળ્યું હોય તો તે હિન્દી ફિલ્મોના પાર્શ્વ ગાયક સ્વ. શ્રી મોહમદ રફી ને આપ્યું, કે જેઓ “રફીસાબ”તરીકે ઓળખાયા. અને રાજકીય ક્ષેત્ર ઉપર કોઈને “સાહેબ”નું સન્માન મળ્યું હોય તો તે માત્ર અને માત્ર બીકે ગઢવી સાહેબ ને મળ્યું છે.

ગાંધીજીને મળેલુ “મહાત્મા”નું સનમાન હોય સરદારને મળેલું “લોહપુરુષ” નું સન્માન હોય, મહમદ રફી કે ભૈરવદાનજી ને મળેલું “સાહેબ”નું સન્માન હોય, અને આવા જે કંઈ સન્માન પ્રજા દ્વારા સ્વેચ્છાએ આપવામાં આવ્યા છે, તે મારી દ્રષ્ટિએ નોબેલ પારિતોષિક કરતાં વધુ ઊંચેરા અને અજોડ છે. અને માટેજ રાજકીય મંચ ઉપર મળેલા ગઢવી સાહેબના સન્માન માટે સંભારણાં લખવાનું મન થઇ આવે છે કે….

દુહો
મોટા લોકને માનમાં, અગણીત મળે ઉપનામ;
સાહેબ તણું સનમાન, ભાળ્યું એકજ ભેરજી.

દુહો
સતા-મતા ને સરળતા, સભ્ય સુશીલ શણગાર;
ભૈરવદાન જગમાં ભયો, અડાભીડ અવતાર.

જિલ્લાના સાંબરડા જેવા નાના ગામમાં, નાની જ્ઞાતિમાં પિતા ખેતદાનજી ના ખોરડે, બા હીરાબા ની કુખે અવતાર લઈ, જીવનની કારકિર્દી પ્રાથમિક શાળાના પગથીએથી શરુ કરી અને સંસદ ની સીડી સુધીની જીવન યાત્રામાં ગઢવી સાહેબે જે ઉતાર-ચઢાવ જોયા,જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા, અને પછી પાંગર્યો,પોષાયા અને પરીણ્યમા. તે સમગ્ર ઘટનાનું વિવરણ કરતું પુસ્તક તે સમયે “ધી મેસેજ” નામના અખબારે તે સમયના ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માના હાથે અગ્ર નેતાઓ અને ઉચ્ચ નાગરિકો વચ્ચે “સાંબરડા થી સંસદ સુધી”નું વિમોચન કરાવ્યું. શ્રી ગઢવી સાહેબ વિશેની આટલી ઊંડાણપૂર્વકની માહિતી એકઠી કરવા બદલ સૌ પ્રથમ તો એ અખબારને હું અભિનંદન પાઠવું છું.

જેમાં રાજ્યના મંત્રી થી માંડી અને વડાપ્રધાન સુધીના નેતાઓ વચ્ચે થયેલ ગઢવી સાહેબ નો પત્ર વ્યવહાર રજૂ કરાયો છે.(આ પત્ર વ્યવહાર ફક્ત જિલ્લાના કે રાજ્ય ના કે લોકોના ઉચીત કામો કઢાવવા પૂરતો અને તે બાબતનોજ રહ્યો છે. (હેલ્લો-હાય નથી). રાજ્યના કે રાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ (વિરોધ પાર્ટીના પણ ખરા) નો સાહેબ માટેનો પ્રતીભાવ રજૂ કરાયો છે. સાહેબ ના થોડા વિચારો રજૂ કર્યા છે અને ગઢવી સાહેબે કરેલા લોકોથી માંડી જિલ્લા કક્ષાના કામોનું પ્રજા સમક્ષ લીસ્ટ મૂકવામાં સફળ રહ્યા છે. અને આ રીતે ગઢવી સાહેબ ની કિતાબ નાં થોડો પાનાં ઉઘાડાં કર્યાં છે.(ગઢવી સાહેબ ને સંપૂર્ણ આલેખવા હોય તો કદાચ આવા પાંચ થી દસ ગ્રંથ ભરવા પડે).

તે સિવાય અમને તો બાળપણથી જ ગઢવી સાહેબ ની આસપાસ રહીને ઉછરવાનો અને પાંગરવાનો મોકો મળ્યો છે. સાહેબ ને બહુ નજીકથી અમે જાણ્યા છે, માણ્યા છે, સાંભળ્યા છે અને સેવ્યા છે. અને આ બાબતે અમો ભાગ્યશાળી રહ્યા છીએ. કે જેનો આજે અમોને ગર્વ છે. અને લઈ શકીએ છીએ, જે ગંભીરતાપૂર્વક નિશંકપણે કબૂલવું રહ્યું.

વ્યક્તિત્વ અને પ્રતિભા-
સૌથી મોટો પુરાવો તેમના વ્યક્તિત્વ અને પ્રતિભા બાબતનો એ રહ્યો છે કે આજના આ ગંદા રાજકારણમાં ચૂંટાયા પછી મંત્રી પદ મેળવવા માટે લાગવગો, દબાણો અને પ્રજાના ભાડુઆત ઠેકેદારો મારફતે ઉગ્ર માણીઓનો મારો ચલાવવામાં આવે છે.(છતાંય નંબર લાગે-નાલાગે તેની કોઈ ગેરંટી નહીં) આવી આ સત્તા ભૂખની પડાપડી વચ્ચે, તત્કાળ સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમની રાજકીય પ્રતિભા, કુશળતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જોતો ગઢવી સાહેબને સ્વયંભૂ મંત્રી પદ માટે પસંદગીમાં ઉતાર્યા હતા. અને રાજ્યકક્ષાના નાણાં (ખર્ચ) ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી.

તેમજ તેમની કાર્યદક્ષતા અને પ્રતિભાથી પ્રભાવિત થઈને ત્યાર પછીની લોકસભાની ચૂંટણીમાં જે તે સમયના વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે તેમની ઉમેદવારીની તરફદારી કરી હતી. તે ઉપરાંત સાંસદ દરમિયાન ભારતીય સંરક્ષણ સમિતિના ચેરમેન પદ પર બિરાજમાન કર્યા હતા.

સાહેબની આવડત અને કુનેહ વિશિષ્ટતા ધરાવતા હોય એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા વર્ષ 1998માં (man of the year-98) ના ખીતાબ થી સન્માનવામાં આવ્યા હતા. જે તેમનું આગવું વ્યક્તિત્વ અને વિશાળ પ્રતિભાની ચાડી ખાય છે. અને માટે જ તેઓ લોકોનાં અને જિલ્લા થી માંડી રાજ્યકક્ષાનાં કેટલાય કામ કેન્દ્રમાંથી કઢાવવામાં સફળ રહ્યા હતા.

દીર્ઘ દ્રષ્ટા-
આવતીકાલને આજની નજરથી જોવાની ગઢવી સાહેબ ની ખાસ આદત રહી હતી. તેમની જીવનયાત્રા ને જો બારીકાઈથી કાંતવામાં આવે તો તેમણે પ્રત્યેક ભરાનારા કદમને અગાઉથી નિહાળ્યું છે.(પછી તે સામાજિક હોય કે રાજકીય) વર્ષો પહેલાં તેમના કહેલા શબ્દો આજે શિલાલેખ જેવા સાબિત થઈ રહ્યા છે. તેમને કહ્યું હતું કે “આવનારા સમયમાં સમાજથી માંડી વિશ્વના સ્તર ઉપર ઊંચનીચના અગર કોઈ ભેદભાવ રહેશે તો એ શિક્ષણ બાબતનો હશે”

આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજી થી ઉભરતા વિશ્વમાં કે એકવીસમી સદીને વિશ્વ આખું જ્ઞાનની સદી તરીકે ઉજવી રહ્યું છે ત્યાં વિશ્વમાં રાષ્ટ્રીય સ્તરે આજે ગળાકાપ હરીફાઇ કોઈ ચાલતી હોય તો તે વિજ્ઞાન ની ચાલી રહી છે.

શિક્ષણ સમિતિના ચેરમેન પદે રહી ચૂકેલા ગઢવી સાહેબે શિક્ષણ ક્ષેત્રે હંમેશા ભાર મૂક્યો છે અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવામા ઇચ્છનીય પ્રેરક અને સક્રિય રહ્યા છે. શિક્ષણ વંચિત પરિવારના બાળકોને શિક્ષણ ફરજિયાત મળી રહે તેના સાહેબે કાયમી હિમાયતી અને આગ્રહી રહ્યા છે. કારણ કે સાહેબ નો મૂળ જીવતો શિક્ષણ વિભાગનો (નૂતન હાઈસ્કુલ પાલનપુર ખાતે શિક્ષક તરીકે રહી ચૂકેલા) એટલે સમાજના બાળકોનો આવતી કાલનાં ભવિષ્ય સાહેબ ત્યારે અગાઉથી નિહાળી સકતા હતા.

આજે પેટ નાં છોકરાં ની સંભાળ નહિ લેનારા અને તેમના શિક્ષણ બાબતે ધ્યાન નહીં દેનારાં એવા કેટલાય પરિવાર તમોને આજુબાજુથી મળી આવશે. પણ આ તો પારકો છોકરો નું ભવિષ્ય આજે અગાઉથી નિહાળી રહ્યા હોય, તો આજના સમાજમાં એમની ઉણપનો ખાડો કેટલી હદે પડ્યો પડ્યો હશે? તેનો વિચાર કરતો કહેવું પડે કે…..

દુહો
સઘળા સમાજ સાગરે, અચાનક પડી ઓટ,
(હવે) ખમવી કાયમ ખોટ, ભાગે પડતી ભેરજી.

દુહો
લાયક-નાયક ને લાડીલો, કવિ-કુશળ કુળવાન;
પાક્યો નથી ના પાકશે, ભવમાંય ભૈરવદાન.

રાજસ્થાનના સાંચોર પરગણાના મૂળ વતની અને પાલનપુર નવાબ સાહેબના વ્યક્તીગત સંબંધોને કારણે(નવાબ સાહેબ પણ રાજસ્થાનના ઝાલોર ના એક સમયના સત્તારૂઢ હોવાથી), વર્ષો પહેલાં સ્થળાંતર કરી અને પાલનપુર સ્થિત સાંબરડા ગામ જાગીર માં લઇ અને સ્થાયી થયેલા, આ ગઢવી પરિવારમાં એક વતન નું રતન પ્રગટ્યું હશે. કે જેનો પ્રકાશ છેક દિલ્હી સુધી પહોંચવાનો હતો. અને આ પ્રકાશ પણ એવો કે જેના ભાગ્યમાં અસ્ત થાવાનું નહોતું, પણ અચળતા મેળવીને સદા ઉદિત રહેવાનું લખાયું હશે.

ખાનદાની પરંપરાથી ઓતપ્રોત અને સભ્યતાઓ થી સુશોભિત એ ખોરડામાં ગઢવી સાહેબ નો ઉછેર પણ એ જ રીતે થયો. કે જ્યાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થતું હતું. વિધાધનની સાથે વિવેક વણાતો હતો. ધારાશાસ્ત્રની સાથે ધર્મશાસ્ત્રનું પાન થતું હતું. અને જો ઓડકાર માંય આદરભાવ નીકળતો હોય, તેવા ખમીરવંતા પરિવારમાં એક એવા વ્યક્તિત્વનું ઘડતર થયું, કે જે વ્યક્તિત્વ આવનારા સમયમાં “ગઢવી સાહેબ” તરીકે નવું નામકરણ પામવાનું હતું.

સંપૂર્ણ શિક્ષિત પરિવાર અને કુટુંબમાંથી આવનાર ગઢવી સાહેબે જીવનની પ્રથમ કારકિર્દી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેથી શરૂ કરી. તે પછી વકીલાતમાં પણ ભારે સફળતા હાંસલ કરીને બહુ મોટા ગજાના ધારાશાસ્ત્રી તરીકે ઉપસી આવ્યા હતા. પરંતુ જેનો આત્મા મુક્ત ગગન માં વીહરવાને સર્જાયો હોય, તેને આવાં બંધન કેમ પોસાય? અને પછી ક્રમબદ્ધ રાજકારણમાં પગપેસારો, પરિશ્રમનો ઘસારો અને પછી રાજકીય ઠઠારો, કાબિલે દાદ માગી લે તેવાં રહ્યાં. અને જીવનના અંત સુધી તે ઠઠારામાં થોડી પણ ઝાંખપ નથી આવવા દીધી.

જ્ઞાન અને સમજણ-
જ્ઞાન ના બે પ્રકાર છે. (૧) સમજુ જ્ઞાન (knowledge) (૨) અણ સમજુ જ્ઞાન (ignorance) એટલે કે અજ્ઞાન. “નથી સમજતો કે નથી જાણતો” અહીં અજ્ઞાન ની વ્યાખ્યા આટલા પુરતી મર્યાદિત નથી.પરંતુ ખોટી સમજ કે ખોટી જાણકારી એ પણ એક પ્રકારનું અજ્ઞાનજ છે.

માટે મારે અહીં ઉલ્લેખ કરવો પડે છે કે સમજણ સાથેનુ જ્ઞાન ગઢવી સાહેબને કુદરતે ખોબે-ખોબે અને આંખો મીંચીને આપ્યું હતું. ઘરના મોભી થી મોડી સમાજ સુધી નો કોઈ વાત વ્યવહાર હોય, કે ઇતિહાસ થી શરૂ કરી આજના આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ચર્ચા હોય, અથવા સહજ રમુજ ભાવથી માંડી રાજકારણની પ્રખર આંટી ઘૂંટી હોય, સાહેબને સર્વ જ્ઞાન સમર્પિત હતું.

ગુજરાતી-હિન્દી-અંગ્રેજી- ઉર્દૂ અને પાલનપુરની તળપદી બોલી હોય કે પછી રાજસ્થાનની સ્થાનિક ભાષા જેવી કે મારવાડી અને મેવાડી. આટલી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનાર ગઢવી સાહેબ વિશ્વના કોઇપણ વિષય ઉપર બહુ સરળતાપૂર્વક સહજ રીતે લાંબી ચર્ચાઓ કરી શકતા હતા. સૌથી સબળ પાસુ તેમનું યાદશક્તિ (memory power) હતું. જિલ્લા નું કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં ગઢવી સાહેબ પાંચ પચીસ માણસોને નામજોગ ઓળખતા ના હોય. નાની સરખી ક્ષણિક મુલાકાત બાદ પણ વર્ષો પછી તે વ્યક્તિ સાહેબ ને જ્યારે મળે ત્યારે તેના નામ સાથે બોલાવતા હતા અને જે તે સમયે થયેલ વાર્તાલાપ પુનઃ કહી સંભળાવી આવનાર વ્યક્તિને અચંબામાં પાડી દેતા હતા. આવી અસાધારણ સ્મરણ શક્તિના તેઓ માલિક હતા.

સમાજ અને શાસનને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે સલાહ સૂચનો અને માર્ગદર્શન તેમના તરફથી સદંતર મળતું રહ્યું છે અને આ માર્ગદર્શનો હંમેશાં પરિણામ લક્ષી સાબિત થયાં છે.

હાલતી ચાલતી યુનિવર્સિટી તરીકે ઓળખાતા ગઢવી સાહેબ, કાયદાના સંપૂર્ણ ગ્યાતા હોઈ અધિકારી વર્ગ ઉપર એક પ્રકારનો કમાન્ડ ધરાવતા હતા. કોઈપણ સરકારી અમલદારે સાહેબના હુકમને અવગણવાની કોશિશ સુદ્ધાં નથી કરી. તેમનાં બતાવેલાં પ્રજાનાં કે વિકાસનો વ્યાજબી કામોની ફાઈલ કોઈપણ ઓફીસના ટેબલ ઉપર અટવાતી ન હતી. અને કદાચ કોઈ કારણસર ફાઈલ સમય કરતાં વધુ મોડી પડતી, તો જે તે જવાબદાર અધિકારીને લોકશાહી પ્રજા નાયક તરીકેનો ઠપકો સાંભળવો પડતો હતો.

પછાતી પણાનો અંચળો ઓઢીને પડેલા આ જિલ્લાને વિશ્વના નકશા ઉપર દ્રશ્યમાન કરાવી આપનાર જ્યારે પોતે અદ્રશ્ય થઈ જાય ત્યારે શબ્દો સરી પડે છે કે…

દુહો
ધરાનો ધાનંકો ગયો, માનંકો જગ મહાન;
ડંકો વગાડ્યો દેશમાં, બંકોય ભેરવદાન.

દુહો
વાણી મધુ, વર્તન વિનય, વિવેક અને વિચાર;
સુધ્ધિ – બુધ્ધિ ને સમજતા, સાહેબ તુજ શણગાર.

દાદા ભૈરવ ના પ્રતાપે અવતરેલ ગઢવી સાહેબ નું નામ પણ ભૈરવદાન રાખવામાં આવ્યું હતું. અને માટે જ ભૈરવનાથજી ઉપર સાહેબને કાયમ અતૂટ શ્રદ્ધા રહી હતી. અવાર નવાર સમયની કટોકટી વચ્ચે પણ સાહેબ રાજસ્થાનના ફેદાણી ગામમાં ભૈરવનાથજીના સ્થાનકે દર્શને જતા હતા.

પશુપાલન વિશે વિશેષ શોખ ધરાવનાર ગઢવી સાહેબ પોતાના ફાર્મ હાઉસ ઉપર શ્વાન, ગાયો, ભેંસો,બળદ અને અશ્વો રાખતા હતા. અને દરેકને કાયમ માથે હાથ ફેરવી અને નામજોગ બોલાવતા હતા.

સમયની ચોક્કસ પાબંધીમાં માનનારા સાહેબ કુટુંબના વડીલો અને ભાઈઓ વચ્ચે પણ સમય ફાળવવાનું કદી ચુક્યા નથી. ગામના ચોરે વડીલો વચ્ચે બેસવાનો સાહેબ ને ખાસ શોખ હતો. દરેક વખતે નવા વિષય સાથે ગામના ચોરે ચર્ચાઓ થાતી રહેતી, કદાચ કોઈ સામાજિક કે રાજકીય નિર્ણય લેવાનો પણ થાતો. તો કંઈક વિચારતા વિચારતા સિગારેટનો એક હળવો કશ લગાવી અને જાણે અચાનક વીજળીનો ઝબકારો થાય તેમ નિર્ણય લઇ લેવાની સાહેબની ખાસ લાક્ષણિકતા હતી. અને આવા દ્રશ્યો અમને નજરે જોવા મળ્યા છે એ અમારા માટે એક લાહ્વો હતો.

લક્ષણ અને કદર-
લક્ષ્મણ નો બીજો અને શુદ્ધ અર્થ થાય છે ગુણધર્મ, (અને માટે જ આપણે ત્યાં ગુણ અને અવગુણ નામના શબ્દો પ્રચલિત છે). દરેક પદાર્થ પોતાનો એક ચોક્કસ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. માટે પદાર્થ વડે બનેલો અને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત(survival of the fittest) પ્રમાણે ઉત્ક્રાંતિના ચરમ શિખર ઉપર બિરાજમાન થઈ અને પૃથ્વી ઉપરના સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે નું બિરુદ ધરાવનારા આ માણસે, પોતાના સ્વાભાવિક ગુણધર્મોનું વ્રુતી, વલણ અને વ્યવહાર ઉપરથી વર્ગીકરણ કરીને તેને બત્રીસ ભાગમાં વહેંચ્યું છે. કે જેને આપણે લક્ષણો ના નામથી ઓળખીએ છીએ.

જેમ મોનાલીસાના ચિત્રમાં એના ચહેરા ઉપર તમે જેવા ભાવ જોવા માગો તે ભાવ તમને જણાઈ આવવાની જે ખાસિયત રહેલી છે, તેમ ગઢવી સાહેબ ના જીવન ચરિત્ર ને જો માઇક્રોસ્કોપ ની દ્રષ્ટિએ નજર અંદાજ કરવામાં આવશે તો “સર્વ ગુણ સમ્પન્ન” ની ઉક્તિ સાર્થક થતી જણાય છે. સૌથી મોટો ગુણ તેમનામાં માનવતાનો હતો.

કદર કરવી કે કરી જાણવી એ પણ લક્ષણ નો જ એક પ્રકાર હોઈ એકજ વિષયમાં તેનો સમાવેશ કર્યો છે. ઘડીક ના સહવાસમાં ગઢવી સાહેબ વ્યક્તિને પાનીથી ચોટી સુધીમાં પારખી જતા હતા. અને કોઈ પણ ક્ષેત્રની દક્ષતા પ્રમાણે તેઓ તેની કદર કરી જાણતા હતા. પક્ષના કાર્યકરોને પણ સમાન પ્રેમ અને હૂંફ આપી દરેકની પોત પોતાની ક્ષમતા ઓળખી કાર્ય ની ફાળવણી કરતા હતા, અને તેમાં કોઈને પણ કોઈ જાતનો વાંધો નહોતો આવતો.

રંકથી માંડી રાજવી સુધીના, હા! રાજવી સુધીના, દાંતા સ્ટેટથી માંડી જોધપુર જયપુર કે પાલનપુર નવાબ સુધીના સાહેબના વ્યક્તિગત સંબંધો કાયમ માટે રહ્યા છે.

તો આ તરફ કોઇપણ ઓળખાણ પીછાણ વગર કોઈ ગરીબ તેમના ત્યાં સાચી માગણી લઇને આવી ને ઉભો હશે તો, ઘડીના છઠ્ઠા ભાગમાં તેમનાં કામ થયાં છે, અને જે ખુલ્લી કિતાબ જેવાં છે. દરેક જણ ના માનસ પટલ ઉપર સાહેબ હંમેશા છવાયેલા રહ્યા છે, અને સર્વેને ઇચ્છિત માન,મોભો,મરતબો આપતા રહ્યા છે.

આખા જગતની કદર કરનારની કદર કરવામાં આપણે ક્યાંય ઉણા ઉતર્યા હોઈશું, અથવા તો માંડા પડ્યા હોઈશું, પણ “સાંબરડા થી સંસદ સુધી” ના પુસ્તક દ્વારા સત્ય આખરે બહાર આવીને રહ્યું છે, જે નક્કર હકીકત છે અને સર્વેને સ્વીકારવું રહ્યું.

ધોધમાર પ્રવાહે ચાલતી ગુજરાતની આ રાજકીય મહા નદી માં આજે એક વિરાટ ભેખડનુ ગાબડું પડયું છે, અને જે પુરવું કલ્પી શકાય તેમ નથી. અને માટે કહેવું પડે છે કે…

દુહો
નાળી,પાળી જો નિર તુટે, (તો) બટક્યુય ફેર બંધાય;
(આતો) પાવડે નહીં પુરાય, ભેખડ પડતાં ભેરજી.

દુહો
ખેતદાન ના ખોરડે, હિરબાઈ જાયો હિર;
પાક્યો જગમાં પીર, ભારત ભુષણ ભેરજી.

સાહિત્યનો જીવ-
શબ્દના જન્મ કાળથી જ આખેઆખી જે જ્ઞાતિ સાહિત્ય સાથે સંકળાતિ આવી હોય, તેવી જ્ઞાતિમાં અવતરેલ ભૈરવદાનજી ની સાહિત્ય બાબતે જેટલી ચર્ચા કરીએ એટલે થોડી છે. અગાઉ દર્શાવ્યા પ્રમાણે છ થી સાત જેટલી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવનાર ગઢવી સાહેબને તે તમામ ભાષાનું સાહિત્ય તેમના સંગ્રહાલયમાં અને સ્મરણાલય માં થોકબંધ પડ્યું હતું. બહોળો વાંચન શોખ ધરાવનાર સાહેબનાં કબાટોમાં કવિતાથી માંડી કાયદાશાસ્ત્ર સુધીનાં, અને મીરાંનાં ભજન થી માંડી ઓશોની ફિલસૂફ વાણી સુધીનાં પુસ્તકોનો સમાવેશ રહેતો હતો. અને આ તમામ પુસ્તકો એક કરતાં વધુ વખત સાહેબ ની નજર તળેથી નીકળી ચૂકેલાં હતો. વાંચનનો શોખ એ સાહેબ ને મળેલી વારસાઈ પરંપરાનો જ એક ભાગ હતો. તેમના સ્વ. પિતાજી ખેતદાનજી પણ વાંચનના ખાસ આગ્રહી હતા. નિવૃત્તિનો લગભગ સમય તેમને વાંચન પાછળ ફાળવ્યો હતો. તેમના પ્રિય પુસ્તકો માં શ્રી દયાનંદ સરસ્વતીનું (the light of right) હતું, જે અમોને સાંભરે છે. (તેના પછી તેનો ગુજરાતી અનુવાદ સત્યાર્થ પ્રકાશ હું લાવ્યો હતો) તે ઉપરાંત ખેતદાનજી ગુજરાતી, ડીંગલ અને અંગ્રેજી ભાષાઓમાં કાવ્યસર્જન પણ કરી જાણતા હતા. વારસામાં મળેલાં આ ઘરેણાઓને ગઢવી સાહેબે અનેક ઘણાં સજાવ્યાં છે, શોભાવ્યાં છે, અને સાચવ્યાં છે.

શૂન્ય પાલનપુરીની ગઝલ ના શેર હોય કે સ્વ. બ્રહ્માનંદ સ્વામી (લાડુદાનજી આશિયા) ના લખેલા છંદ હોય, દલપતરામની કવિતા હોય કે ચારણી સાહિત્ય, સાહેબ ની બોલવાની છટા અને સમય પ્રમાણે વાતને અનુરૂપ રજૂ કરવાની શૈલી, એ તેમની સાહિત્ય બાબતની નિપુણતા અને ઊંડી આવડતના પુરાવા છે.

ગામના ચોરે અથવા મંદિરે કોઈ દિવસ ભજન નો પ્રોગ્રામ હોય તો સાહેબ તેમાં સંપૂર્ણ રસ લેતા હતા. હાથમાં સીતાર રાખીને કાગબાપુ ના ભજનો ગાતા સાહેબ ને નીહાળવા તે એક લાહ્વો હતો. પૂજ્ય નારાયણ સ્વામી ના કંઠે ગવાયેલ ભજનોના સાહેબ ખાસ ચાહક, ગ્રાહક અને સંગ્રાહક હતા. રામાયણ, મહાભારત, ગીતા, કુરાન અને બીજા અનેક ધર્મોના પુસ્તકો ઉપર તેઓ મુક્તપણે ચર્ચા કરી સકતા હતા અને ઉંડાણપૂર્વક વિસ્તૃત છણાવટ કરી જાણતા હતા.

સમર્થ સાહિત્યકારો અને કવિઓ સાથે માટેજ સાહેબને ઘરોબો કાયમ માટે રહ્યો છે. શૂન્ય પાલનપુરીના ટ્રસ્ટની સ્થાપના કરવાની હોય કે કવિ દાદ નો મુંબઈ ખાતે સત્કાર સમારંભ યોજાયો હોય, સાહેબે નોંધનીય હાજરી અને પ્રોત્સાહન બળ પૂરેપૂરાં આપ્યાં છે.

સાહિત્ય ના રચયિતા દ્વારા જન્મેલ સાહિત્ય,રચના માત્રથી જીવંત રહી શકતું નથી. પરંતુ તેના માટે એક કદરદાન વર્ગ પણ હોવો જરૂરી છે. અને આ વાત મેં મારા એક મુક્તકમાં પણ પ્રકાશિત કરેલી છે.

મુક્તક
લાગણીના વાંસ, જ્યાં ઘસાયા કરેછે,
“વિજય) ત્યાં કવિતા નો, અગ્નિ ઝરે છે;
કવિતા જન્મે છે, કવિની કૂખેથી,
કદરદાન તેને, પોષણ ધરે છે.

અને આ રીતે ઉત્તમ કદરદાની નું ઉદાહરણ બની અને સમયના અભાવે વચ્ચે પણ આજના આ ભુંસાતા અને ભુલાતા જતા આપણા વારસાઈ સાહિત્યને જીવંત, કંઠસ્થ, સ્મરણસ્થ અને સંગ્રહસ્થ રાખનાર સાહિત્યના આ ગાંડા જીવ માટે ચારણી શૈલી માં એક કવિત જીભે ચડે છે.

કવિત
ખાસ ગયો,આશ ગયો, ગરીબ કો ગ્રાસ ગયો,
કવન કો પ્રાસ ગયો, ઉત્તમ અભ્યાસ કો.
ભેરવદાન ભ્રાત ગયો, પુનમ પ્રભાત ગયો,
દોર યે કપાત ગયુ, ગુર્જર વિકાસ કો.
ધીર ગયો, હિર ગયો, ગુણવંત ગંભીર ગયો,
“વિજય દાન” વિર ગયો, મર્દ યે મીઠાશ કો.
દિલ્હી શોભાય ગયો, ગામકો ગજાય ગયો,
ડંકો બજાય ગયો, બંકો બનાસ કો.

દુહો
સ્મીત વદન, સ્નેહ સભર, લેશ કીધી ના રિસ,
(તેવા) જણને તું જગદીશ, શરણે રાખજે શામળા.

જિલ્લામાં સૌથી ઓછા મત ધરાવતી જાતિમાંથી આવનાર ગઢવી સાહેબને જિલ્લાની પ્રજાએ ત્રણ ત્રણ વખત સ્વીકાર્યા છે અને સહકાર્યા છે. અને આનું એક જ કારણ છે કે જિલ્લામાં ગઢવી સાહેબે કરેલાં કામો ઉઘાડે છોગે બોલે છે.

સરહદી વિસ્તારમાં રસ્તા અને પાણીની વ્યવસ્થા છે તે સાહેબ ને આભારી છે. દુષ્કાળ દરમિયાન ખુદ વડાપ્રધાને લાવી અને સરહદી વિસ્તારની હાલાકીનાં પ્રત્યક્ષ દર્શન કરાવી રાહત કામો અને પશુઓને ઘાસચારાની વિરાટ વ્યવસ્થા સાહેબ દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત ડીસાનું વિમાનીમથક હોય, કંડલાનો નેશનલ હાઈવે હોય, પાલનપુરની બ્રોડગેજ રેલવે લાઈન હોય, ગુજરાત રાજ્યના સૌથી વધુ વીજળીનાં સબસ્ટેશનો કે ટેલિવિઝન સબ ટેશનનો બનાસકાંઠામાં હોય જિલ્લાની ડાર્કઝોનથી મૂકતી હોય ઔદ્યોગિક વિકાસનું ગ્રોથ સેન્ટર હોય અને આવા અનેક અસંખ્ય અને અગણ્ય વિકાસના કામો ના પ્રણેતા બનાવવાનો શ્રેય શ્રી બી.કે ગઢવી સાહેબ ના ફાળે જાય છે.

છેલ્લા ઘણા વર્ષોમાં આપણે કૃષિક્ષેત્રે પહેલાંથી જે કંઈ પ્રગતિ સાધી શક્યા છીએ, તેમાં મુખ્ય ફાળો દોતીવાડા કૃષિ યુનિવર્સિટી નું મુખ્ય મથક છે. જે મુખ્ય મથક અન્ય કોઇ સ્થળેથી ખસેડી અને બનાસકાંઠા જિલ્લામાં લાવવાનુ ભગીરથ કાર્ય, અને તેનો પૂરેપૂરો યસ સીધેસીધો સ્વ. બીકે ગઢવી સાહેબ ની તરફેણમાં જાય છે.

ગમે તેટલા સારા શાસન પરિણામ પછી પણ પરિવર્તન ની આદત ધરાવનાર પ્રજાએ ગમે તેટલા મોટા રાષ્ટ્રીય પક્ષને પણ રાજ્યની કે રાષ્ટ્રની સત્તા ઉપર થી જાકારો આપ્યો છે અને ફરી પાછી એજ પ્રજાએ એજ પક્ષને શાસન ધૂરા સોંપી છે. કે જેનો ઈતિહાસ આપણી સામે ઉઘાડો છે.

ગુજરાતમાં આવેલ કેટલાય રાજકીય ઝંઝાવાતો માં પણ વિધાનસભા સત્તા પરિવર્તન પામતી રહી છે પણ એક વાતે અપવાદ છેલ્લા સુધી રહ્યો છે કે ગુજરાતમાં ગમે તે પક્ષ સત્તા આરૂઢમાન રહ્યો હોય પરંતુ ગઢવી સાહેબે તેમના પોતાના જિલ્લામાં બહુમતી પોતાના પક્ષની જાળવી રાખી હતી. અને છેલ્લે તેમના અવસાન પછી તેમની ગેરહાજરી પક્ષને
નાંધનીય તરિ આવી હતી.તેમની ગેરહાજરી માં થયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી માં પુરા જિલ્લામાં તેમના પક્ષની ફક્ત એકજ બેઠક મળી હતી અને તે પણ તેમના પનોતા પુત્ર સ્વ. શ્રી મુકેશદાન ગઢવીએ જાળવી રાખી હતી.

આજના આ ગંદા રાજકારણ અને તેમાંય જાતિવાદના આધારે ચાલતી રાજનીતિ વચ્ચે મા.બી.કે. ગઢવી સાહેબે સાચા અર્થમાં વિકાસશીલ રાજનીતિના અને સાચી લોકશાહીના પ્રજા પ્રેમ પામેલા નાયક બનવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને એ પણ એટલી હદ સુધી કે એક સમય એવો પણ હતો, કે જિલ્લાના છેવાડાના ગામો સુધી પણ ગઢવી સાહેબ ની સાથે તસવીર પડાવી ઘરમાં રાખવી એ એક મોભો ગણાતો હતો.

અને આ તમામ વાર્તા વિધાન પાછળ એક અદ્રશ્ય વ્યક્તિત્વ પડદા ઓથે કામ કરી રહ્યું હતું. અને તે હતાં સાહેબનો ધર્મપત્ની સ્વ. શ્રીમતી મોહિનીબા.

શ્રીમતી મોહિનીબાનું જ્યારે નિધન થયું ત્યારે ગઢવી સાહેબે સરળ શબ્દોમાં એમના આખા જીવનનો સાર ધીરે રહીને બોલી ગયા હતા.(અથવા બોલાઈ ગયું હશે) કે “આજે હું અડધો થઈ ગયો”

જે માણસ પોતાના જીવનની તમામ પ્રગતિ અને બુલંદીઓ નો અડધો અડધ જશ જે વ્યક્તિને આપી દેતા હોય તો તે જશ નાં મેળવનાર અહોભાગ્ય વ્યક્તિત્વ અને એક પવિત્ર અને આદર્શ યુગલના જીવનને ટૂંકમાં વર્ણવવું હોય તો…..

દુહો
મોહનબા મ્રુત લોકની, સિતા હતી સુજાન;
રામ સમોવડ રહ ગયો, દેખોય ભેરવ દાન.

દુહો
સહસ્ત્ર દો સવંતને, સાઠ ઉપર એક સાલ,
પુનમ દીન પરિયાણ, ભાદર માસે ભેરજી.

ઈસ.૧૯૩૭ ની ૧૬ મી એપ્રિલે દાદા ભૈરવ ના પ્રતાપે એક અનોખા મહાપુરુષ નો જન્મ થાય અને એ પણ કંઈક આવા વિચારો સાથે..

ખુશીના ફુલ લઇ ખોબે, તમારા પાસ આવ્યો છું;
વિનિમય પ્રેમનો કરવા, અહીં હું ખાસ આવ્યો છું.

એમ આ પ્રેમનો વેપારી આખરે તો આપણને બધાને છેતરી ગયો. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વર્ષના પવિત્ર દિવસો પૈકીનો પૂનમનો દિવસ, અને વર્ષની બાર પૂનમ પૈકીની શ્રેષ્ઠ પૂનમ શરદ પૂનમ અને ભાદરવી પૂનમના પ્રભાતે એ પુન્ય આત્માએ આપણી વચ્ચેથી વિદાય લીધી. તે અકલ્પનીય, અસહનીય છે.

આજના આ બદલાતા અને ઝડપથી પસાર થઈ રહેલા વિશ્વ ની જોડે કદમ મીલાવી રહેલ ભારત, અને તેને અગ્ર સહકાર આપતા વિસ્તારો પૈકીનો આ બનાસકાંઠા જિલ્લો, અને તેની ઊભરી રહેલી ક્રાંતિ અને જાહોજલાલીના દિપમાળાના ચળકાટ માં બનાસની આવતીકાલની ઉગતી પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજી માં રાચતી રહે. કૃષિ વ્યાપાર ક્ષેત્રે શિખરો સર કરે. અને રાજકીય કે પ્રજાકીય બાબતે નામ ગજવે, તેવું સમગ્ર બનાસ વાસીઓ થકી હું ઈચ્છું છું. પણ સાથે સાથે એ પણ ઇચ્છું છું, કે એ દિપમાળાના ચળકાટ માં અંજાઈ અને રંગાઈ જતો પહેલો એટલું ચોક્કસ પણે સ્વીકારવું અને યાદ રાખવું પડશે કે આ દિપમાળાના કેટલાય દીવડાઓ માં તેલનાં સિંચન સ્વ. શ્રી બી.કે. ગઢવી સાહેબ નાં કરેલાં છે. અને હજી એવા કેટલાય દીવડા પ્રગટવાના બાકી છે કે જેનો કોડિયાં ગઢવી સાહેબ ગોઠવીને ગયા છે.

ભારત વર્ષના તોશાખાના માંથી આજે એક વધુ રત્ન ઓછું થઈ ગયું છે. અને આ રીતે એક પછી એક એમ આ ખજાનો ઓછો થતો જાય છે. આ દેશની પ્રજાવતી જો ખેદ વ્યક્ત કરૂ તો એટલો જ કે સામે નવા રત્નો નો સમાવેશ નહિવત કે નહીં જેવો છે. ” ઓછું ચાલશે પણ નબળું નહીં” માં માનવા વાળી રાષ્ટ્રની ખમીરવંતી પ્રજા ને આ તોષાખાના માં નકલી રત્નનો સમાવેશ ના થાય તેવી ઇશ્વર દૃષ્ટિ આપે, તેવી અંતઃકરણથી નતમસ્તક આ સૃષ્ટિના સર્જનહાર જોડે યાચના કરું છું.

અને આ રીતે બીજાઓ માટે જે આખી જિંદગી વેડફાઇ ગયું હોય તેવા વ્યક્તિત્વને જ્યારે શ્રદ્ધાંજલિ આપવા બેસીએ તો આનાથી વધુ શું કહી શકાય…..

દુહો
ઉપમા સૌ ઓછી પડે, શબદ જડે ના શેષ;
શ્રદ્ધાંજલિ શિદ પાઠવું, “વિજય દાન” વિશેષ.

શ્રદ્ધા સુમન-
“સાહેબનાં સંભારણાં” દ્વારા – વિજયદાન જીવતદાનજી ગઢવી સાંબરડા તરફથી પૂજ્ય આદરણીય સ્વર્ગસ્થ શ્રી બી.કે. ગઢવી સાહેબ ને અર્પણ……..

તા.૧૯/૯/૨૦૦૫ સાહેબ નો પાર્થિવ દેહ પંચમહાભૂત માં વિલીન થયો ત્યાર બાદ લખાયેલ આ શબ્દ સ્મરણાંજલિ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Categories

Categories

error: Content is protected !!
चारण शक्ति